Monday, December 23, 2019

સિટીઝનશીપ અમેનડમેન્ટ એકટ (CAA) મિથક અને સત્ય! -ચિંતન પટેલ

સિટીઝનશીપ અમેનડમેન્ટ એકટ (CAA) મિથક અને સત્ય! -ચિંતન પટેલ


આજે દેશભરમાં જે ચાલી રહ્યું છે તે માત્ર કોઈ એક કાયદા નો વિરોધ અને સપોર્ટ માત્ર નથી. એક જબરદસ્ત યુદ્ધ છે, વોર ઓફ આઇડીયોલોજી અને વોર ઓફ હિસ્ટોરીકલ નેરેટિવ્સ! ભારતીયતા માંથી ઉપજેલ એક અલગ વિશુદ્ધ અને સરળ સેક્યુલરીઝમ અને પશ્ચિમ થી આયાત કરાયેલ મોટામોટા લેબલ હેઠળ દબાયેલ અને વિકૃત સેક્યુલરીઝમ વચ્ચે, યુદ્ધ છે રાષ્ટ્રવાદ અને અર્બન નક્સલવાદી તત્વો વચ્ચે! ન્યુઝ જોતા, વાંચતા કે પાન ના ગલ્લે બેસી ચર્ચા કરતાં આપણે બધા આ યુદ્ધ નો જાણતાં અજાણતાં ભાગ છીએ જ. આ યુદ્ધ રણમેદાનમાં નહીં પણ મનમેદાનમાં લડાવાનું છે, આજના સોશિયલ મીડિયા ના યુગમાં આપણી સૌથી મૂલ્યવાન ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એ આપણા ઈંફોર્મડ ઓપિનિયન છે, પણ જરા વિચારો કે આજકાલ ઓપિનિયન આપણા છે ખરા? દરેક ટ્વીટ, ફેસબુક ની દરેક પોસ્ટ, રિમોટનું દરેક બટન, યુ ટ્યુબનો દરેક વીડિયો દર સેકન્ડ આપણા અભિપ્રાય પર અસર કરે છે. આજની પેઢી લાબું વિચાર્યા વગર તરત જ બીજાના કહ્યે દોરવાઈ ને કોઈ એક ખોટો પણ જડસુ અભિપ્રાય બાંધી લે છે અને તેના માટે રસ્તા પર પણ ઉતરી આવે છે! 

લોકશાહીમાં સરકાર ની નીતિઓ પર, નિર્ણયો પર પ્રશ્નો ઉઠાવવા જ જોઈએ, જ્યાં જરૂર લાગે ત્યાં વિરોધ કરવો પણ જોઈએ, બક્ષીબાબુ ની ભાષામાં દિલ ફાડીને વિરોધ કરવો જોઈએ, પણ પોતે હિંસા કરીને એનું પોલીસ/પ્રશાસન પર બીલ ફાડીને નહીં! જેમ સૂંઠ ના ગાંગળે ગાંધી ના થવાય ને એમ જ પ્લેકાર્ડ પકડે ભગત સિંગ ન થવાય, ક્રાંતિ કરવી હોય, પોઝીટીવલી કંઈ બદલવું હોય તો ભગત સિંગ જેવું વાંચન અભ્યાસ હોવો જોઈએ, તર્કબદ્ધ દલીલો હોવી જોઈએ. નહિતર ભલભલા આંદોલનો ની હાલત આપણે જોઈ જ છે, સામાન્ય લોકો ના ભોગે આંદોલનની સીડી બનાવી  પોતાનું રાજનૈતિક કરિયર ને અઢળક પૈસા બનાવી લેવા વાળા આંદોલન ના આગેવાનો જોવા બહુ પાછળ જવું પડે એમ નથી! 

આટલા દિવસોથી હું જોઉં છું કે બે જાતના લોકો છે એક કે આ કાયદો મોદી સરકાર લાવી હોવાથી બસ વિચાર્યા વગર માત્ર વિરોધ કરવા ખાતર વિરોધ કરવો અને સામે પક્ષે બીજી કે બસ મોદી સરકાર લાવી છે એટલે વિચાર્યા વગર માત્ર સપોર્ટ કરવો. ખરેખર લશ્કર ક્યાં લડે છે એની બંનેને ખબર નથી. તેથી આ બંને એપ્રોચ યોગ્ય નથી, ખાસ કરીને યુવાનો માટે.

એટલા માટે પહેલા તો કોઈપણ મુદ્દા વિશે વાંચો, વિચારો, ચર્ચાઓ કરો ને જરૂર પડ્યે સમર્થન/વિરોધ કરો. પણ શરત માત્ર એટલી જ કે વિચાર તમારા પોતાના હોવા જોઈએ, ઉધાર લીધેલા વિચારો કોઈને દૂર સુધી લઈ જઈ શકતા નથી, બહુમાં બહુ તમે કોઈ એક પક્ષના હાથા બની ને રહી જશો!

એવું ધ્યાનમાં આવ્યું કે ઘણાખરા લોકોને આ મુદ્દો જ હજી સમજાયો નથી એટલા માટે, CAA ઉપર મને જે સમજાયું તે લખવા પ્રયાસ કર્યો છે.



મિથક# 1 આ કાયદો તદ્દન બિનજરૂરી અને અમાનવતાવાદી છે.

સત્ય:  સૌ પહેલા તો એ વિચારીએ કે શું આવા કોઈ કાયદા કે સુધારાની જરૂર હતી ખરી? આ માટે ઇતિહાસ તપાસવો પડે એમ છે, પણ અહીં સમય અને જગ્યાના અભાવે માત્ર અમુક મુખ્ય તથ્યો ઉપર નજર નાખીએ. પ્રથમ રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્રપ્રસાદ, પ્રથમ ગૃહમંત્રી સરદાર સાહેબ થી લઈ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંઘ સુધી સૌ વિચારવંત મહાનુભાવોએ અલગ અલગ સમયે પાકિસ્તાનમાં વસતી લઘુમતીઓ ની સ્થિતિ ને લઈ ચિંતા વ્યક્ત કરેલી. નહેરુજી અને ગાંધીજી એ તો સ્પષ્ટ શબ્દોમાં કહેલું કે ભાગલા વખતે પાકિસ્તાન(પૂર્વ અને પશ્ચિમ બન્ને) માં વસતા "નોન-મુસ્લીમ" લોકો જો કોઈપણ કારણસર અહીં પાછા ફરવા માંગે તો તેઓનું અહીં સ્વાગત છે. જેમ ગૃહમંત્રી અમિત શાહે આજતક ને આપેલા ઇન્ટરવ્યૂ માં સંદર્ભો ટાંકીને લંબાણપૂર્વક જણાવેલું એમ આ બીલ કંઈ પહેલી વાર મોદી સરકાર લાવી એવું નથી, માત્ર આ બીલ જ નહીં નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝનશીપ (NRC) લાગુ કરવાનું બીલ પણ સૌ પહેલા આગળની કોંગ્રેસી સરકારો જ લાવેલી, પણ વોટબેંક સાચવવા ના ચક્કરમાં કદી લાગુ કરવાની હિંમત ન કરી શકી.ખરેખર તો જો 1947 પછી જ અથવા 1971 માં જ્યારે આ મુદ્દો વિકરાળ બની ને સામે ઉભો હતો અને તે વખતના પૂર્વ પાકિસ્તાન માં થી આવેલા સંખ્યાબંધ શરણાર્થીઓ ને ભારતે સ્વીકાર્યા ત્યારે જ જો NRC લાગુ કરીને એક સૂચી તૈયાર કરી લેવામાં આવી હોત તો આજે એક નાનો એવો ઘા ગેંગ્રીન નું રૂપ ધારણ ના કરવા પામત! પહેલેથી જ પોતાનું બધું છોડીને માત્ર પોતાના ધર્મનું રક્ષણ કરવા માટે અહીં આવી વસેલા અને અહીંના રેફ્યુજી કેમ્પમાં રહેતા લોકો જે નારકીય સ્થિતિનો સામનો રોજેરોજ કરે છે એ જોતાં આ કાયદો જરૂરી અને સમયસર જ નહીં પણ જોઈએ તેના કરતાં મોડો છે!

યુનાઇટેડ નેશન્સની વ્યાખ્યા અનુસાર યુદ્ધ કે હિંસા દરમ્યાન થયેલી પ્રતાડના ને લીધે પોતાનો દેશ છોડવા મજબૂર બનેલ તેમજ પોતાના ધર્મ, જાતિ, રાજનૈતિક અભિગમ કે કોઈ ચોક્કસ સામાજિક ગ્રુપ ના ભાગ હોવાને કારણે જો હિંસા કે દુર્વ્યવહાર નો સામનો કરવાની બીકે પોતાનો દેશ છોડી ભાગેલ દરેક વ્યક્તિ શરણાર્થી છે

આ રીતે પોતાનો જીવ તેમ જ ઈજ્જત બચાવવા પોતાનું ઘર, જમીન, મિલકત બધુ છોડીને માત્ર પહેરેલ કપડે નીકળી ગયેલા લોકો પાસે યોગ્ય કાગળિયાં હોવા દર વખતે શક્ય ન હોવાથી આ બધી લઘુમતીઓ ને યોગ્ય કાગળિયા ના અભાવે પણ નાગરિકત્વ આપવાનું આ સુધારા માં પ્રાવધાન છે.આમ જે લઘુમતીઓ પોતાના ધાર્મિક આચાર-વિચાર ને કારણે આ ત્રણ દેશોમાં પ્રતાડીત હતી તેઓને શરણ આપવામાં આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ પણ કંઈ ખોટું નથી, ઉપરાંત આ માનવતવાદી પગલું તો છે જ.

મિથક#2  CAA મોદી સરકાર દ્વારા ભારતીય મુસલમાનો ને દેશબહાર કરવાનું કાવતરું છે.

સત્ય:  CAA એ ભારતના સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એકટ 1955 ને મોડીફાય કરવા માટે લાવવામાં આવેલ એક સુધારો છે. પહેલાં તો એ જાણી લઈએ કે આ કાયદો આમ પહેલવહેલો મોડીફાય નથી કરવામાં આવી રહ્યો, અમલમાં આવ્યા બાદ આ કાયદો 1957,1960,1985,1986,1992,2003,2005 અને 2015 આમ આઠ વાર પરિસ્થિતિ અનુસાર જે તે વખતની સરકારો દ્વારા બદલાવાઈ ચૂક્યો છે. તો પછી આ નવમાં સુધારા ની જરૂર કેમ પડી? 

કોઈપણ દેશની નાગરિકતા એ ચોક્કસ નિયમો અંતર્ગત જ આપવામાં આવે, જે તે વખતે આપણી બંધારણ સભા એ અને ત્યારબાદ સંસદે ખૂબ ચર્ચા વિચારણા અને ઘણા બધા સુધારા કર્યા બાદ આજે ભારતનું નાગરિકત્વ નીચે જણાવેલ 5 રસ્તે સ્વત: જ મળી જાય છે.

1. ભારત ની ભૌગોલિક ધરતી પર જન્મ લેવાથી

2. વંશ પરંપરા થી ભારતીયતા સાબિત થવાથી

3. ચોક્કસ નિયમો મુજબ રજીસ્ટ્રેશન થઈ

4. નેચરલાઈઝેશન (ભારતમાં 11 વર્ષ કે તેથી વધુ કાયમી ધોરણે વસવાટ કરવાથી) 

5. સિટીઝનશીપ બાય ઇનકોર્પોરેશન ( જો ભવિષ્યમાં ભારત કોઈપણ ભૌગોલિક પ્રદેશને પોતાનો ભાગ બનાવે તો તે ભાગમાં વસતાં બધા નાગરિકો ને સ્વત: જ ભારતીય નાગરિકત્વ મળી જાય) 

આ ઉપરાંત સરકાર કેબિનેટ તેમજ સંસદ ની સહમતી થી કોઈ ચોક્કસ કારણ અને પરિસ્થિતિ માં કોઈપણ વ્યક્તિ/સમુદાય/ રાજનૈતિક શરણાર્થી વગેરે ને પણ ભારતમાં સમાવી શકે. આવા અનેક ઉદાહરણો છે, 

  • 1959 માં પોતાના 1 લાખ અનુયાયીઓ સાથે તિબેટ થી આવેલ દલાઈ લામા ને નહેરુ સરકારે રાજકીય શરણ આપેલી

  • 1971 માં યુનાઇટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજી ના અંદાજ મુજબ લગભગ 1 કરોડ થી વધુ બાંગ્લાદેશી લોકો અહીં શરણાર્થી બનીને આવેલા

  • 1974 માં શ્રીમતી ગાંધી અને શ્રીલંકન રાષ્ટ્રપતિ સિરિમાઓ બંદરનાઈકે વચ્ચે થયેલ સમજૂતી અનુસાર ભારતે 5,25,000 શ્રીલંકાઈ તમિલોને સ્વીકાર્યા

  • 1982 માં શ્રીમતી ગાંધી ની સરકારે યુગાન્ડા થી ઈદી અમીન ના દમનકારી શાસન થી બચાવવા લગભગ 80,000 ભારતીય મૂળના નાગરિકોને ભારતમાં સ્વીકાર્યા,

  • વર્લ્ડબેન્ક અને યુનાઇટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજી ના અંદાજ મુજબ  આશરે 2 લાખ જેટલા અફઘાન શરણાર્થીઓ પહેલા રશિયન અને પછી તાલિબાની દમનથી ત્રાસી ભારત આવી વસ્યા છે. 

સમજી શકાય એવું છે કે આ બધા કિસ્સા અલગ અલગ છે અને ઉપરોક્ત બધા નિર્ણયો જે તે સરકારે કોઈ ચોક્કસ પરિસ્થિતિ ને ધ્યાનમાં લઈ ને જ કરેલા છે. આવા નિર્ણયો લેવા એ કોઈપણ સરકાર નો હક અને અમુક કિસ્સામાં ફરજ પણ હોય છે. તો કોઈ પણ બુદ્ધિશાળી ભારતીય એવી દલીલ કરી શકે કે દલાઈ લામા ને શરણ આપવાથી નહેરુ સરકાર મુસ્લીમ વિરોધી કે શીખ વિરોધી થઈ ગઈ!?

હવે વર્તમાન કાયદા ને સમજીએ. આ કાયદા મુજબ આપણા ત્રણ મુસ્લીમ બહુલ પાડોશી રાષ્ટ્રો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન માં થી 31 ડિસેમ્બર 2014 કે તેથી પહેલા તે દેશોમાં લઘુમતી એવી હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, ઈસાઈ અને પારસી લોકો કે જેઓ પોતપોતાના દેશોમાં ધાર્મિક પ્રતાડના ને કારણે જો ભારતમાં પ્રવેશ કર્યો હોય તો તે લોકોને નાગરિકત્વ આપવાનું પ્રાવધાન છે.આ મુદ્દે ભોળા અને ઓછું ભણેલા નાગરિકો ને સૌથી વધુ ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. આ લિસ્ટ માં મુસ્લીમ જ બાકાત શા માટે? બહુ સાદી વાત છે, જેમ ઉપર જોયેલ દરેક કિસ્સામાં અલગ અલગ લોકોને અલગ અલગ સમયે અલગ અલગ કારણોસર ભારતમાં સ્વીકારવામાં આવ્યા છે જેને બંધારણીય ભાષામાં રીઝનેબલ કલાસિફિકેશન કહે છે. તો આ વખતે રિઝનેબલ કલાસિફિકેશન નો આધાર ધાર્મિક ઉતપીડન હોવાથી એવા જ સમુદાય ને આ બીલ અંતર્ગત સ્વીકારી શકાશે કે જેઓ પોતાના દેશમાં ધાર્મિક ઉતપીડન નો શિકાર બન્યા હોય. હવે ત્રણેય પાડોશી દેશો ના પોતાના જ બંધારણ અનુસાર તેમના દેશનો ધર્મ ઇસ્લામ છે, અને એમનું તો સર્જન જ ધર્મ ના નામે થયું છે! હવે આ દેશોમાં ઇસ્લામ માં માનનારા અન્ય કોઈ રીતે પ્રતાડીત હોય તો ઠીક બાકી પોતાની ધાર્મિક માન્યતાઓ ને લઈ ને તો પ્રતાડીત ન જ હોઈ શકે, એ માની શકાય એવું છે. અહીં અહેમદીયા અને શીયા સંપ્રદાય ના લોકો પર થતા અત્યાચારો ની ચર્ચા અસ્થાને છે કારણ કે તે ધાર્મિક નહીં પણ સાંપ્રદાયિક મામલો છે અને આપણું સંવિધાન કોઈ જ સંપ્રદાય ને સ્વીકારતું નથી.તો હવે પ્રશ્ન થાય કે શું આવા શિયા-અહેમદીયા-હાજરા  મુસ્લિમ શરણાર્થીઓ જો અહીં આવી વસ્યા હોય તો તેમને ભારતીય નાગરિકત્વ મળી જ નહીં શકે? જવાબ છે હા, જરૂર મળી જ શકે કારણ કે ભારત બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર હોવાથી આપણા દેશમાં ધર્મ આધારિત ભેદભાવ થતો નથી, તેથી જો કોઈ શરણાર્થી 11 વર્ષ કે તેથી વધુ સમયથી અહીં વસેલા હોય તો તેઓ જરૂર થી નેચરલાઈઝેશન ના રસ્તે નાગરિકત્વ મેળવી શકે. આ નાગરિકત્વ ઉપર જણાવેલ શરત 4 નેચરલાઈઝેશન મુજબ અપાશે, પણ નેચરલાઈઝેશન ના નિયમ મુજબ નાગરિકત્વ આપવાનું પ્રાવધાન "ઓછામાં ઓછા 11 વર્ષ ભારતમાં વસવાટ" છે. આ બીલ લાવી સરકારે આ પહેલેથી પીડિત, પોતાનો ધર્મ બચાવવા ખાતર અમાનવીય અને દયનિય પરિસ્થિતિમાં રહેતા આ લોકો ને વધુ રાહ ન જોવી પડે એ હેતુ થી માત્ર આ કિસ્સામાં 11 વર્ષ ના બદલે "ઓછામાં ઓછા 5 વર્ષ ભારતમાં કાયમી વસવાટ" નો સુધારો કર્યો છે અને માટે જ તારીખ 31 ડિસેમ્બર 2014 રાખવામાં આવી છે.

આમ જોઈ શકાય છે કે આ કાયદા માં કોઈપણ જગ્યા એ ભારતીય મુસલમાન કે પહેલેથી ભારતીય નાગરિક હોય એવી કોઇપણ વ્યક્તિ પાસે નાગરિકતાની સાબિતી માંગવાનો જ કોઈ સવાલ નથી તો પછી કાઢી મુકવાનું તો શક્ય જ નથી. કોઈ એવી દલીલ કરી શકે કે દલાઈ લામા ને શરણ આપવાથી નહેરુ સરકાર મુસ્લીમ વિરોધી કે શીખ વિરોધી થઈ ગઇ અથવા નહેરુજી બૌદ્ધ રાષ્ટ્ર સ્થાપવા માંગતા હતા? આ જ દલીલ જેટલી વાહિયાત દલીલ આ વખતે થતી હિંદુરાષ્ટ્ર વાળી દલીલ છે. પણ આપણા બિકાઉ મીડિયા ને સિલેક્ટિવ રિપોર્ટિંગ ની અને કહેવાતા સેક્યુલરો ને સિલેક્ટિવ સેક્યુલરીઝમ ની આદત પડી ગઈ છે.

મિથક#3 CAA + NRC લાગુ કરી દેવાયું છે અને તેથી બધા ભારતીય મુસલમાનો ને દેશ છોડવો પડશે. 

સત્ય: આ સમગ્ર પ્રોટેસ્ટ અને આખા પ્રોબ્લેમ નું મૂળ આ એક ગેરસમજ છે! હકીકતમાં આ ગેરસમજ નથી, અમુક બેજવાબદાર અને સ્વાર્થી લોકો દ્વારા ખૂબ આયોજન પૂર્વક ફેલાવવામાં આવી રહેલું જુઠ્ઠાણું છે! એ લોકોને ખબર હતી કે ખરેખર માત્ર CAA માં તો કોઈ ધાર્મિક ભેદભાવ છે જ નહીં માટે ભારતીય મુસ્લિમો ને ઉશ્કેરવા માટે ઈરાદાપૂર્વક નક્કી કરાયેલ સ્ટ્રેટેજી અંતર્ગત આ બંને કાયદાઓ ભેેગા કરી ને પોતાની સાવ પાયાવિહોણી વાતને બળ આપવા કવાયત કરાયેલ છે. તો, સૌ પહેલા તો એ સમજીએ કે CAA અને NRC બંને તદ્દન અલગ અલગ વસ્તુઓ છે અને બંને વચ્ચે કોઈ સીધો સબંધ જ નથી.

 CAA એ બહારથી આવી ભારતમાં વસેલી પીડિત લઘુમતીઓ ને માનવતા દાખવી હક આપવાનો છે તેને પહેલેથી ભારતીય નાગરિક હોય તેની સાથે બિલકુલ લેવા દેવા નથી, આ જ રીતે NRC એ જે પહેલેથી ભારતીય નાગરિક છે એ લોકોની આયોજનબદ્ધ રીતે ગણતરી કરી ભારતીય નાગરિકો ની એક સૂચી તૈયાર કરવાનો છે જેનાથી ખરેખર કેટલા ભારતીય નાગરિકો છે તે અને કેટલા લોકો ઘૂસણખોરી કરી ભારતમાં આવી વસ્યા છે તેનો અંદાજ આવી શકે.

 દુનિયાના લગભગ દરેક વિકસિત દેશ પાસે પોતાના નાગરિકોની એક આવી સૂચી છે અને એમાં કશું ખોટું નથી જ! હવે, સામાન્ય મુસ્લીમ નાગરિકો ને એવી રીતે ભડકાવાઈ રહ્યા છે કે તમારી સાત પેઢીઓના પુરાવા માંગવામાં આવશે અને બાપદાદાઓ વખત થી નાગરિકત્વ સાબિત ના કરી શક્યા તો અહીંથી કાઢી નાખવામાં આવશે વગેરે વગેરે. જે બિલકુલ પાયાવિહીન ભય ફેલાવવાની વાત છે.

અહીં NRC નો ઇતિહાસ જાણવો પણ ખૂબ જ જરૂરી છે, સૌ પ્રથમ બાંગ્લાદેશી ઘૂસપેઠ ના બનાવો ને કારણે 1951 ની વસ્તી ગણતરી વખતે આસામની પ્રજાની ભાવના ને માન આપીને ત્યાં NRC ની મંજૂરી કેન્દ્રની નહેરુ સરકાર દ્વારા આપવામાં આવેલી. ત્યારબાદ 1971 માં લગભગ 1 કરોડ બાંગ્લાદેશીઓ ની ઘૂસણખોરી થવા છતાં ફરીથી  NRC કરીને ઘૂસણખોરો ને ઓળખવાના કોઈ પ્રયાસ કરવામાં ન આવ્યા.ઉપરથી જે તે વખતની સરકારો એ આ લોકોમાં પોતાની વોટબેંક જોઈને તેઓને વોટર આઈ.ડી પણ ઈસ્યુ કરાવી દીધા! આસામ ની જનતા છૂટપુટ વિરોધ કરતી રહી પણ રાષ્ટ્રીય સ્તર પર કોઈએ તેમનું સાંભળ્યું નહીં. છેક 2013 માં આસામ સંમિલિત મહાસંઘ અને આસામ પબ્લિક વર્કસ ના પ્રયત્નોથી સુપ્રીમ કોર્ટમાં એક રિટ પિટિશન દાખલ કરાવવામાં આવી,  જેની મુખ્ય માંગણી હતી આસામ ના વોટર લિસ્ટમાં થી 1971 બાદ ઘૂસી આવેલ ભારતમાં ગેરકાયદેસર રહેતાં લોકોની હકાલપટ્ટી કરવી. 2014 માં માનનીય સુપ્રીમ કોર્ટે આ અરજી ના જવાબમાં આસામમાં રાજ્યવ્યાપી NRC કરાવવાનો સરકાર ને આદેશ આપ્યો. આ આદેશના જવાબમાં 2015 માં આસામમાં NRC ની કામગીરી શરૂ કરવામાં આવી અને તેનું અંતિમ લિસ્ટ 31 ઓગસ્ટ 2019 ના રોજ જાહેર કરવામાં આવ્યું. 

અહીં એક વાત જાણવી ખૂબ જ જરૂરી છે કે આસામમાં NRC ના એકઝીકયુશન માં અમુક લૂપહોલ્સ રહી જવા પામેલા અને તેથી ત્યાંના લોકો ને થોડું સહન પણ કરવું પડ્યું છે. પણ એ NRC ના આધારે સરકારે કોઈને અહીંથી જવાનું કહ્યું નથી. ખૂબ જ અગત્ય ની વાત એ છે કે હજી દેશવ્યાપી NRC આવશે એવું માત્ર ગૃહમંત્રી એ મોઢામોઢ જ કહ્યું છે કાગળ ઉપર કંઈ જ નથી, હજી એનો પ્રથમ મુસદ્દો પણ તૈયાર કરાયો નથી.  સરકારે માન્યું છે કે હવે દેશવ્યાપી NRC આવશે એ પ્રમાણમાં સરળ અને જે લોકો પહેલેથી નાગરિક છે એમના માટે કોઈજ તકલીફ ઉભી ન કરે એવું હશે! સરકાર દ્વારા ફરતી કરાયેલ નોટમાં એવું પણ કહ્યું છે કે હજી સુધી મુસદ્દો તૈયાર ન કરાયો હોવાથી ચોક્કસ કહી શકાય એમ નથી કે કયા કાગળિયાં માન્ય ગણાશે પણ એક વાત ચોક્કસ છે કે માત્ર પોતાનું નામ, પિતાજી નું નામ, જન્મ નું સ્થાન, વોટર આઈ.ડી, બર્થ સર્ટી, ઘર-જમીન ના દસ્તાવેજો વગેરે જેવા સામાન્ય નાગરિક પાસે પણ હોઈ શકે એવા કાગળ નાગરિકત્વ પુરવાર કરવા માટે પૂરતાં હશે. ચોક્કસ તો જ્યારે આવે ત્યારે જ ખ્યાલ આવે પણ અત્યાર થી જ NRC ના નામે ખોટી રીતે ઉભા કરાયેલા હાઉ ને લીધે હિંસક આંદોલનો કરવા એ તો સગાઈ કર્યા પહેલા છૂટાછેડા ને લઈ ઝઘડા કરવા જેવી બાલીશ વાત છે!

મિથક#4 CAA અસંવૈધાનીક હોવાથી ભારતીય બંધારણ ની આત્મા વિરોધી છે! 

સત્ય: આ મુદ્દો આપણે અમુક ઉદાહરણો દ્વારા સરળતાથી સમજવાનો પ્રયાસ કરીએ.

1. ધારો કે ત્રણ મિત્રો છે, X,Y અને Z.  ત્રણેય મિત્રો એ મેડીકલમાં પ્રવેશ લેવા માટે રાત દિવસ મહેનત કરી NEET ની પરીક્ષા આપી. જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે 720 માં થી X નો સ્કોર  610, Y નો સ્કોર 480 અને Z નો સ્કોર 450 હતો. જો કટ ઓફ સ્કોર 553 હોય તો દેખીતી વાત છે કે યોગ્યતા અનુસાર તો માત્ર X ને જ એડમિશન મળવું જોઈએ, પેલા બંને ને નહીં. પણ અહીં મજાની વાત એ છે કે આપણા દેશમાં આવી પરિક્ષાઓના કટ ઓફ સ્કોર કદી એક નથી હોતા! જે કટ ઓફ સ્કોર એક જાતિના વિદ્યાર્થીઓ માટે 553 છે એ જ પરીક્ષામાં એની બાજુમાં જ બેસી ને એ જ પ્રશ્નપત્ર લખવા વાળા વિદ્યાર્થીઓ માટે કટ ઓફ સ્કોર માત્ર 440 છે! હવે વિચારો કે જો Y 553 કટ ઓફ વાળી જાતિમાંથી આવે છે અને Z 440 કટ ઓફ વાળી જાતિમાં થી આવે છે તો એક જ પરીક્ષા આપવા છતાં એ જ કોલેજમાં ઓછો સ્કોર હોવા છતાં Z ને એડમિશન મળશે અને Y ને Z કરતાં વધુ સ્કોર કરવા છતાં એ કોલેજમાં એડમિશન નહીં મળી શકે! અહીં આ ત્રણેય વિદ્યાર્થીઓ ભારતના જ નાગરિકો છે, અને આપણા બંધારણનો આર્ટિકલ 14 કાયદા આગળ જાતિ,ધર્મ, કે લિંગ આધારિત ભેદભાવ કરવાની મનાઈ ફરમાવી કાયદા આગળ બધાને સમાન ગણવાનો અને બધાને કાયદા નું સમાન રક્ષણ આપવાનો આદેશ આપે છે, તો શું ઉપરની પરિસ્થિતિ માં તો Y સાથે જાતિ આધારિત ભેદભાવ થયો હોવાથી અનામત વ્યવસ્થા ગેરબંધારણીય ગણી શકાય!? 

જવાબ છે, ના. કારણ કે એક તો આપણું બંધારણ જડસુ નથી,  આર્ટિકલ 14 ને જરૂરિયાત અનુસાર તેને બદલવાની તેમજ તેનું પરિસ્થિતિ અનુસાર અર્થઘટન ની સત્તા  બંધારણે જ સંસદ તેમ જ સુપ્રીમ કોર્ટ ને આપેલી છે. આ સુધારો લાવવાની અમુક શરતો છે, પહેલી અને મુખ્ય શરત સંસદે નક્કી કરેલ રિઝનેબલ કલાસિફિકેશન હોવું જરૂરી છે. બીજી મુખ્ય શરત એ કે આ કલાસિફિકેશન "આરબીટ્રરી"(મરજી મુજબનું) ન હોવું જોઈએ અને આ સુધારો લાવવા પાછળ કોઈ " જસ્ટ ઓબ્જેક્ટ"(સુધારા દ્વારા સિદ્ધ થતો ઉદ્દેશ્ય) હોવો જોઈએ. 

એટલે જ આઝાદી પછી જ્યારે બંધારણીય સભા એ ભારતનું બંધારણ ઘડયું ત્યારે આપણા દેશમાં પ્રવર્તતી જાતિપ્રથા અને જાતિ આધારિત અમુક સમુદાયને થયેલા અન્યાય ને ધ્યાનમાં લઈ આ જાતિઓના લોકોને(રિઝનેબલ કલાસિફિકેશન) ભારતના વિકાસની મુખ્ય ધારામાં મેળવવા માટે (જસ્ટ ઓબ્જેક્ટ)અમુક છૂટછાટો આપવામાં આવી, અને એને ત્યારબાદ સતત ભારતના લોકો દ્વારા ચૂંટેલી સંસદ ની મંજૂરી મળતી રહી. 

આમ આ આખી વ્યવસ્થા એ એક લોકતાંત્રિક પ્રક્રિયા માંથી પસાર થયા બાદ લાગુ કરવામાં આવી હોવાથી Y સાથે જે થયું તેને દુઃખદ જરૂર ગણી શકાય પણ ગેરબંધારણીય ન જ ગણી શકાય! 

2. આ જ રીતે સરકાર જ્યારે ભારતીય લઘુમતીઓ ના ઉત્થાન માટે આખું અલગ મંત્રાલય બનાવી ને કરોડો રૂપિયા ના પ્રોજેક્ટ્સ ચલાવે છે અને તેના લાભ હિન્દુ સિવાયના અન્ય બધા ધર્મોને જ મળે છે, જેમાં સંખ્યા ની દ્રષ્ટીએ સૌથી મોટી લઘુમતી હોવાથી મુસ્લીમ સમાજ ના લાભાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે. તો ઉપલક જોતાં તો આ પણ હિંદુઓ વિરુદ્ધ સરકાર દ્વારા ધર્મ આધારિત ભેદભાવ જ થયો, પણ બંધારણીય રીતે એમ ન કહી શકાય કારણ કે જાતિ ની જેમ જ આ કિસ્સામાં ધર્મ ને આર્ટિકલ 14 ના ફ્રેમવર્ક અનુસાર રિઝનેબલ કલાસિફિકેશન તેમ જ લઘુમતી ધર્મો ના લોકો નું ઉત્થાન જસ્ટ ઓબ્જેક્ટ હોવાથી આને પણ ધર્મ આધારિત ભેદભાવ બંધારણ ની દ્રષ્ટિએ ન ગણી શકાય. 

આ જ તર્જ પર ભારતમાં પંચાયત થી લઈ લોકસભા સુધી અમુક સીટો અમુક ચોક્કસ જાતિ અને તેમાંય સ્ત્રીઓ માટે આરક્ષિત કરેલ હોય છે, તો આ પણ બંધારણ અને સંસદ દ્વારા પારીત કાયદા અનુસાર હોવાથી લિંગ આધારિત ભેદભાવ દેખાતો હોવા છતાં તે ગેરબંધારણીય નથી. 

3. માની લો કે પચાસ મુસાફરો ભરેલી એક બસ રાત્રીના સમયે જંગલ જેવા વિસ્તારમાં થી પસાર થઈ રહી છે. આ બસ ને કોઈ ટ્રક સાથે ટક્કર થઈ ગઈ, ત્રણ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા અને બાકી બધા સહીસલામત બચી ગયા. જે બચી ગયાં એમાં ગર્ભવતી સ્ત્રી થી લઈ નાના બાળકો અને ખૂબ ઘરડાં બુજુર્ગો પણ સામેલ હતાં. કોઈ એ 108 ને કોલ કર્યો અને એમ્બ્યુલન્સ મંગાવી લીધી અને ઘાયલો ને તો લઇ જવામાં આવ્યા. ત્યારબાદ પોલીસ ને પણ ફોન કરવામાં આવ્યો અને બાકીના મુસાફરો ને લઇ જવા માટે વાહન ની વ્યવસ્થા કરવા વિનંતી કરવામાં આવી. 

હવે આ આખી ઘટના શહેર થી દૂર જંગલ જેવા વિસ્તારમાં થઈ રહી છે, જ્યાં થઈ નજીકનું ગામડું પણ ચાલી ને જવા માટે ખૂબ દૂર કહી શકાય તેટલા અંતરે છે. તેથી પોલિસ પાસે પણ સંસાધનોની કમી હોવાથી પોલીસે પોતાની એકમાત્ર જીપ મોકલી આપી, જેમાં ડ્રાઈવર સિવાય સંકડાશ થી બેસે તો પણ માત્ર 9 જણાં જ બેસી શકે એમ છે અને બાકીના લોકો માટે પોલીસ પાછી લેવા આવશે પણ એમાં સમય લાગશે! હવે માની લો કે તમે પણ આ બચી ગયેલા લોકોમાં થી એક છો તેથી તમને પૂછવામાં આવે છે કે પહેલી ખેપમાં કોને કોને મોકલવા જોઈએ!? મારા ખ્યાલથી જગત આખામાં કોઈપણ વિવેકી માણસ ને પૂછતાં તેનો જવાબ હોય કે સૌ પહેલા ગર્ભવતી મહિલા, નાના બાળકો સાથે ની મહિલા અને બુજુર્ગો એ જ જવું જોઈએ. 

હવે આમાં બાકીના લોકો જંગલમાં આંદોલનો કરી જીપ સલગાવવાની ધમકી આપે કે આ અમને જંગલમાં રઝળતા મૂકી જવાનું પોલીસનું કાવતરું છે અમારી સાથે ભારતીય બંધારણ મુજબ ન્યાય નથી થઈ રહ્યો, કારણ કે આર્ટિકલ 14 મુજબ તો બધા સમાન છે તેથી જીપમાં બેસવાનો સૌ નો અધિકાર છે, તો આવા લોકો ને તમે શુ કહેશો!? 

બસ, આટલી સિમ્પલ વાત છે. જે લોકો પોતાના ધર્મનું રક્ષણ કરવા પોતાની માલ-મિલકત, ઈજ્જત બધું છોડીને અસહ્ય પ્રતાડનાઓ સહીને આપણી વિવેકબુદ્ધિ પર ભરોસો કરી અહીં આવેલા છે એ લોકો ને પહેલા જીપમાં બેસવા દેવાની વાત છે. જે રહી ગયા તે લોકો માટે જીપ પાછી આવે જ છે, આ લોકોને લેવા પાંચ વર્ષે આવી તો બાકીના માટે 11 વર્ષે આવશે પણ કોઈને રઝળતા મુકાશે એવું ક્યારેય પોલીસે(સરકારે) કહ્યું જ નથી. જરૂર છે બસ થોડી માનવતા દાખવવાની અને કોઈની ચઢામણીમાં આવ્યા વગર પોતાની વિવેકબુદ્ધી નો ઉપયોગ કરવાની! 

માટે જરા સમજો, બંધારણ નો આત્મા તો સલામત જ છે, મરવા પડ્યા છે ધર્મ અને બંધારણ ને આગળ કરી પાછલા 70 વર્ષો થી ચાલતાં ગોરખધંધા! 

નોંધ#1 આ બાબતનો કેસ સુપ્રીમ કોર્ટમાં હોવાથી, અને બીજું કે હું બંધારણ કે કાયદાનો નિષ્ણાત પણ ન હોવાથી અહીં માત્ર મુદ્દો સમજવા પૂરતી જ આર્ટિકલ 14 બાબતે કાયદાકીય ચર્ચા કરેલી છે. 

નોંધ#2 બંધારણ અને આર્ટિકલ 14 એ માત્ર અને માત્ર ભારત દેશનાં નાગરિકો માટે જ છે, જ્યારે CAA માત્ર બહારથી ભારતમાં આવીને વસેલા શરણાર્થીઓ ને જ લાગુ પડતો હોવાથી બંને ને કોઈ સબંધ નથી, પણ અમુક લોકો આર્ટિકલ 14 ને નામે લોકોને ભડકાવી રહ્યા હોવાથી અહીં એ સમજાવવાનો પ્રયાસ કર્યો છે.

-ચિંતન પટેલ

No comments:

Post a Comment